ઝાંઝર

ઝાંઝર

વૃદ્ધ પિતાની શારીરિક તકલિફને સહન કરતાં જોઈ રહેલ દીકરાની વાત…

“ભાઈ હવે તું મને મારી નાખ. મારે હવે જીવવું નથી…” જિંદગીની દોડમાં ૮૯ વર્ષનાં ત્રિભુવનદાસ નકારાત્મક મનોદશાની ઉંડી ગર્તામાં જઈ રહ્યા હતા. તેમનો ત્રીજો દીકરો રમેશ તેમને આ અકસ્માતને લીધે થયેલ શારીરિક જખ્મો અને તેને લીધે આવેલી હતાશામાંથી તેને બહાર કાઢવા મથી રહ્યો હતો.

આજના શબ્દોથી તે ચોંક્યો અને પરાવર્તી ક્રિયા સ્વરુપે તે બોલ્યો, “અને હું પછી આખી જિંદગી જેલમાં જતો રહું કેમ ખરુને?” પણ તરત જ ભાન થયું કે બાપા તો હતાશામાં બોલે છે તેથી વિનમ્ર થઈને પાછું વાક્ય અનુસંધાન કર્યું, “બાપા તમે તો અમારા જન્મદાતા. અમારાથી તમને મૃત્યુ કેવી રીતે અપાય? જરા શુભ શુભ બોલો…”

ત્રિભુવનદાસને ચારેક વર્ષ પહેલા પડી જવાથી ડાબો પગ ભાંગ્યો હતો. તે વખતે સર્જરી કરી સ્ટીલનાં સળીયા નાખ્યા હતા. તે છ મહિનાનો ખાટલો તો રમાબાની હયાતિમાં ભોગવ્યો હતો. ગયા સોમવારે ફરી પડ્યા અને જમણાં પગની બેઠક પાસે તીરાડ પડી તેથી ડોક્ટરો એ વજનીયા બાંધી તેમને પથારી વશ કર્યા હતા. જે તેમનાથી સહન થતું નહોતું. વળી, રમાબાના ગયા પછી પડેલી એકલતાની ખાઈ તેમને વધુ ભયભીત કરતી હતી. રમેશનું વાક્ય પૂરું થાય તે પહેલાં તો તે તાડુક્યા. “તો હું શું કરૂં? મને જીવવામાં રસ રહ્યો નથી અને આ વજનીયા બાંધી મને રીબાવો તેના કરતા મને મારી નાખો એટલે બધાં છૂટે.”

રમેશે બાપાને સમજાવતા કહ્યું, “બાપા એ વજનીયા તમારા પગની હલન ચલન રોકવા માટે છે કારન કે પગનાં…”

“હા, મને ખબર છે મને પગનાં હાડકામાં તીરાડ પડી છે પણ મને આ વજનીયા અને બેડી નથી જોઈતી. મારે બંધાઈને જેલનાં કેદીની જેમ નથી જીવવું. કાં બેડી કાઢો કાં મને કાઢો.” રૌદ્ર સ્વરુપમાં ધ્રુજતા પણ મક્કમ અવાજમાં ત્રિભુવનદાસે જણાવ્યું.

રમેશ ધુંધવાયેલા અવાજે ફરી બોલ્યો, ”બાપુજી, તમે ડોક્ટર નથી અને આ નિર્ણય તમારો નથી.” “પણ સહન તો હું કરું છું ને ?” રમેશની વાતને અર્ધેથી કાપતા ત્રિભુવનદાસ ફરીથી બોલ્યા.

આવી નિરાશાજનક વાતો અને માંગણીઓનો દોર ચાલુ રહ્યો. રમેશે ચુપ્પી સાધી અને તેમના કહ્યા પ્રમાણે વર્તવા ડોક્ટરને પૂછશે તેવું મનોમન વિચારી લીધું. બાપુજીની દરેક ગતિવિધી જોતા જોતા તે અજાણે જ ત્રિભુવનદાસનાં પિતા જગજીવન સાથે સરખાવી બેઠો. બાપુજીને પણ પથારીમાં સૂઈ રહેવાથી કાળા ચાઠા પડેલા હતા. ૮૯ વર્ષની ઉંમર. ચોકઠું કાઢી નાખેલ મ્હોં શ્વાસોચ્છ્શ્વાસ દરમ્યાન ફુગ્ગાની જેમ ફુલે અને સંકોચાય. આ બધું તેણે યુવાન વયે જગજીવનદાસના મૃત્યુ પહેલાં જોયું હતું તેથી તેનું મન ક્ષણ માટે તો ધબકારો ચૂકી ગયું.

દાદાની ખબર જોવા આવેલા લાલાભાઈએ ઘડીયાળના સેકંડ કાંટાને ગુરુત્વાકર્ષણના નિયમને તાબે થતા જોઇ કહ્યું, “ફોઈ બા! આ ઘડીયાળતો ધીમી પડવા માંડી.”

રમેશના મને ફરીથી ઉથલો માર્યો. આ બાપુજી પણ ઘડીયાળની જેમજ દેહવિલયની ગતિમાં ધીમ પડવા નથી માંડ્યાને?

પણ આ ડરને દાબીને તેણે કહ્યું, “બાપુજી દાદાની જેમજ તમે પણ ફુગ્ગ ફુલાવો છો. પણ તેઓ કદી તમારી જેમ માંગી માંગીને મૃત્યુના ઉધામા નહોતા કરતા.”

“ભાઈ મારાથી આ વજનીયા સહન નથી તેથી તો કાઢી નાખોની વાતો કરું છું.”

“બાપુજી તમે જે વિચારો છો ને કે આ વજનીયા બેડી છે તે વિચાર ખોટો છે. થોડોક સમય રાખશો એટલે તમે ટેવાઈ જશો. હાડકાની તીરાડ પુરવા હલનચલન રોકવુ જરુરી છે ને ?”

મોટીબેને લાલાભાઈને રુપીયા આપીને કહ્યું, “ચાર બેટરીના સેલ લઈ આવો બધી ઘડીયાળોનાં બદલી નાખીયે..”

રમેશ બાપુજીની પીડાથી દ્રવિત હતો તે બોલ્યો ” બાપુજી કાશ કે તમારી પીડા હું લઈ શક્તો હોત. તમે મૃત્યુ ના માંગો તે માંગે તો મળતું નથી. અને ત્યાં પણ લાઈન છે જ્યારે વારો આવશે ત્યારે કોઇ રોકી નહીં શકે.”

બાપુજી આર્દ્રતાથી બોલ્યા, “ભાઈ તમે મને પીડાતો જુઓ છો પણ ડોક્ટરની આડમાં મારું કશું સાંભળો નહીં તો હું શું કરું ?”

રમેશ કહે, “બાપુજી, આપણું મન કાબુમાં રાખો તો મિત્ર અને નહીંતર દુશ્મન છે.”

બાપુજી કહે, “શું આ બેડીઓને હું બેડીઓ ના સમજું એમ તું કહે છે ?”

રમેશ કહે છે, “તેને કાબુમાં રાખવાનું કહું છું. આ વજનીયા બેડી નથી તે તમારી સારવારનો એક ભાગ છે. જો તમે સહકાર નહીં આપો તો તે ત્રણ મહીનાને બદલે છ મહીના લંબાશે અને પીડા તો તમારે જ ભોગવવાની છે.”

થોડિક ચુપકીદીની ક્ષણો વીતી ના વીતીને બાપુજી ફરી બોલ્યા, “મારાથી આ દુખાવો સહન નથી થતો. ભાઈ મને ગળચુ દાબીને મારી નાખો…”

મોટીબેન અને રમેશ બંને અંદરથી હચમચી ગયા. આ દુઃખ કે ધાર્યુ કરાવવાની આડ ધમકી ? રમેશે બાપુજીનો હાથ પકડી માથા ઉપર મુકાવીને કહ્યું, “બાપુજી આ મરવાની વાત ના બોલો તમને મારા સોગંદ. થોડીક સમતા રાખો…”

લાલાભાઇ સેલ લઈને આવી ગયા હતા. તેમને ઘડીયાળો ઉતારી દરેકના સેલ બદલી નાખ્યા. ઘડીયાળનો સેકંડ કાંટો હવે ગુરુત્વાકર્ષણનાં નિયમને ગાંઠતો નહોતો.

બાપુજીની ટેપ હવે બદલાઈ હતી. “ભાઈ કાલે સવારે હું નહીં હોઉં…”

રમેશે વજનીયા કાઢ્યાં પગે થોડોક ચામડી ઘસાયાનો દાગ હતો. પાવડર છાંટ્યો અને પગ થોડીક વાર પંપાળ્યા.

“ભાઈ, બહુ દુઃખે છે…”

“હવે સારુ લાગે છે ? મેં વજનીયા કાઢી નાખ્યા છે.”

“કેમ મને રીબાવી રીબાવીને છ મહીના આ પથારી પર રાખવો છે ?”

ઘડીયાળ બરોબર ચાલવા માંડી હતી. રમેશે બાપુજીને પૂછયું, “આ ઝાંઝર તો પાછું બાંધી દઉંને ?”

Vijay Shah

CATEGORIES
TAGS
Share This